છેલ્લી પ્રાર્થના -ઝવેરચંદ મેઘાણી જાન્યુઆરી 28, 2007
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
હજારો વર્ષની જૂની અમારી વેદના;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;
સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ!
અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!
પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું,જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?
જુઓ આ,તાત!ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!
ભલે હો રાત કાળી – આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!
તૂટે છે આભઊંચા આપણા આશામિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.
* * *
કવિની આ ‘છેલ્લી પ્રાર્થના’ ખરેખર આપણા રૂંવાટા ઊભા કરી દે છે!!
મેધાણીના સંગ્રહ ‘સોનાનાવડી’માંથી…
‘સૌરાષ્ટ્ર’માં 3/5/1930ના રોજ છપાયેલો અહેવાલ!
(આભાર ધવલભાઇ!)
* * *
પ્રવિણભાઇ શાહ નો ઘણો આભાર આ કવિતા મોકલવા બદલ…
* * *
‘સહિયારું સર્જન’ પર દેશભક્તિ અને શહીદીના વિષય પર કાવ્ય-લેખનનું આમંત્રણ!
* *
*
[…] નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખ… […]
પ્રવિણકાકાએ આ કાવ્યની સાથે સાથે મોકલેલી કાવ્ય વિશેની થોડી માહિતી:
[૧] “છેલ્લી પ્રાર્થના” ૧૯૩૦ માં આયરીશ વીર મેક્સ્વીનીના એક ઉદગાર પરથી સૂઝેલું આ કાવ્ય છે.
“હજારો વર્ષની જૂની અમારી વેદના”” એ આ કાવ્યની પ્રથમ પંક્તિ….
એના ચોથા ચતુષ્ટકની પહેલી આ બે પંક્તિઓ આ પ્રમાણે છે:
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે.
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે.
અને એની છેલ્લી બે પંક્તિઓ આ પ્રમાણે છે:
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?
[૨] સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં મેઘાણી ઉપર પાયા
વગરના આરોપસર ધંધુકાની કોર્ટમાં કેસ ચાલેલો.
મેજિસ્ટ્રેટ મિ. ઈસાણીએ બે વર્ષની સજા ફટકારેલી.
તે વખતે મેઘાણીએ જજશ્રીની પરવાનગી માગી અને
એમની અનુજ્ઞા મેળવી આ ગીત કોર્ટમાં ગાયેલું.
ગીત પૂરું થયું છેલ્લી આ બે પંક્તિ” સાથે:
“સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા”
મેઘાણી પોતાના આસને બેઠા ત્યારે માનવમેદની
ચોધાર આંસુએ રોતી હતી.દસેક મિનિટતો કોર્ટનું મકાન
ડૂસકાં અને આર્તનાદોથી કંપતું રહ્યું.
[…] સર્જક, વાર્તાલેખક — સુરેશ જાની @ 3:21 am “નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, […]
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે !
એ પંક્તિઓ તો સમર્પણની કદી ન ભૂલાય એવી હાકલ છે.
ઊર્મિ, આ કવિતા હું આ 26 જાન્યુઆરીએ લયસ્તરો પર મૂકવાનો હતો. કલાપીના જન્મદિવસને લીધે એ મુલતવી રાખેલું. કેવો જોગાનુજોગ કે તને આજે જ આ કાવ્ય મુકવાનો વિચાર આવ્યો ! પ્રવિણભાઈએ જે માહિતી આપી છે એ જ મેધાણીના સંગ્રહ ‘સોનાનાવડી’માં પણ છે. કવિતા સાથે એ પાનું મૂકવાનો વિચાર હતો એ હવે અહીં લીંક કરું છું. લીંક : http://dhavalshah.com/ls/wp-content/uploads/2007/chhelli%20prarthana.JPG
Why poems like this are not included in the current Gujarati text books in India? As a frequent visitor to India, I feel sorry that the lofty ideals of Freedom for which Meghani and his likes fought and died in the first half of the 20th Century are not seen in present India. We need another Zaverchand Meghani Today in India.
I pay my homage and tribute to this great National poet. It was a truly memorable experience to read this poem first thing in the morning. Thank you for bringing this gift to your readers.
ઝવેરચંદ મેઘાણી ની બીજી એક રચના માંથી : સ્વતંત્રતા
તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ વત્સલતાભરી
મુરદાં મસાણથી જાગતાં, તારાં શબ્દમાં શી સુધાભરી!
પુછી જોજો કોઈ ગુલામને,
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ જે દિને;
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ સી ઓહો સુખની ઘડી,
એની આંખ લાલમલાવ છાતીમાં છોળો છલકાઈ પડી.
આ કાવ્યનાં સંદર્ભ માં હરિન્દ્ર દવે ‘માનસરોવર ના હંસ’ માં લખે છે,”કેટકેટલા યુવાનોએ સામે થી છૂટતી ગોળીઓની બોછાર સામે હસતા મુખે ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ ના નારાઓ બુંલદ કર્યાં હતાં, એ વાત હજી ગઈ કાલ ના ઈતિહાસ ની છે. સ્વતંત્રતા શબ્દોનો જાદું આ યુવાનો પર જે હતો તે એ આજે છે ખરો?….આજે આઝાદ થયાંને આટલૂ સમય વીત્યો છે ત્યારે મેઘાણીની આ કવિતા આપણને ફરી એક વાર એ વાતાવરણમાં મૂકી દે છે અને આપણા એક કવિ ના શબ્દો વેધક તીરની માફક આંખો અને હ્રદયમાં વાગે છે ‘દેશતો આઝાદ થતાં થૈ ગયો- તેં શું કર્યુ?'” અને સાચે જ આ સવાલે મને પણ ખુબ વિચાર કરતાં કરી મુક્યો. જય
please give me the whole song mp3 link and lyrics
thank you.
[…] નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખ… […]