jump to navigation

નહીં જીરવી શકો -‘આદિલ’ મન્સૂરી (એમના સંદેશ સાથે) May 19, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

ગઈ કાલે શ્રી આદિલજીનાં જન્મદિવસ નિમિત્તે ‘સહિયારું સર્જન’ પર એમનાં જ અમર શબ્દો ‘મળે ન મળે’ પરથી શ્રી આદિલજીને માટે કાવ્ય-સર્જનનાં આમંત્રણની પોસ્ટ મૂકવામાં આવી હતી… જેમાં ઘણાં મિત્રોએ ભાગ લીધો હતો અને એમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી… એમનાં જવાબરૂપે આપણા આદરણીય શ્રી આદિલજીએ જેની આશા પણ રાખી નહોતી, એવો નીચેનો હૃદયસ્પર્શી સંદેશો અમને ઈ-મેલમાં મોકલાવ્યો હતો… મને એમણે કરેલું ‘આદરણીય’ સંબોધનથી તો હું ઘણી મુંઝાઇ ગઇ… ઘણું ખટક્યું… ઘણું અજીબ લાગ્યું… શરમ જેવી પણ આવી… બસ, મનમાં એક વંટોળ જગાડી ગયું!!  ગુજરાતી સાહિત્યની આટલી ઊંચાઇ પર પહોંચેલી વ્યક્તિને જ્યારે કોઇ એક અતિ સામાન્ય વ્યક્તિ પ્રણામ કરે અને જવાબમાં એ ‘આદરણીય’ જેવું સંબોધન કરે ત્યારે સ્વાભાવિક જ છે કે ઘણું અજીબ તો લાગે જ… પરંતુ એની સાથે જ એટલું વ્યતિત તો જરૂર થાય છે કે એ વ્યક્તિ માત્ર એમની કલમથી જ મહાન નથી પરંતુ મનથી પણ એટલી જ મહાન છે જે નાનામાં નાની વ્યક્તિનો પણ આદર કરી શકે છે!!   આદરણીય શ્રી આદિલજીને ફરી એકવાર સાદર પ્રણામ… અને નીચેનો સંદેશો અને એમની એક નવી ગઝલનાં શેર મોકલવા બદલ એમનો ઘણો ઘણો આભાર!

——

આદરણીય ઊર્મિસાગરજી,

આપે, સુરેશભાઇ જાની અને સર્વ શૂભેચ્છકો, મિત્રો સ્વજનોએ લાગણીભર્યા શબ્દો, શિઘ્ર કાવ્યરચનાઓની અમી વર્ષા દ્વારા નેટ ઉપર જે ગુલાલ ઉડાવી ઉજવણી કરી તે બદલ હૃદયપૂર્વક સર્વનો ઋણી છું.

ખૂબ ખૂબ આભાર સાથે એક તાજા ગઝલના થોડાક શેર….

થાકી જશો શરીરેની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો

મિત્રો ને શત્રુઓથી બચી નીકળો પછી
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો

મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો

મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું
માથે સતત હગાર નહીં જીરવી શકો

- ‘આદિલ’ મન્સૂરી

*