ભરોસો કરું છું -સૈફ પાલનપુરી February 22, 2007
Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.trackback
અમોલા વિચારોનાં પુષ્પો ધરું છું
ગઝલ-પ્રેમ મારો પ્રદર્શિત કરું છું.
નયનથી વહાવી જિગર-ખૂન આજે
પ્રણયની કથાઓમાં લાલી ભરું છું.
વિચારો નથી આવતા એક આરે
વિચારોને તજવા વિચારો કરું છું.
મને દોસ્તોના અનુભવ ન પૂછો
હવે દુશ્મનો પર ભરોસો કરું છું.
પ્રણય-બોધ લેશે જગત એ મરણથી
ભલે “સૈફ” રૂસ્વા થઇને મરું છું.
* * *
જનાબ સૈફ પાલનપુરીની આ પ્રથમ ગુજરાતી ગઝલ છે…
ગુજરાતી ગઝલકાર એ કઇ રીતે બન્યાં, એ આપણે એમનાં જ શબ્દોમાં માણીએ!
સૈફ પાલનપુરી:
સુરતમાં ‘મહાગુજરાત ગઝલ મંડળ’ના આશ્રયે દર ત્રણ મહિને મુશાએરો યોજાતો હતો. ત્રણ મહિના પછી ફરી શયદા સાહેબ પર મુશાએરાનું આમંત્રણ આવ્યું અને શયદા સાહેબે ફરી મને સાથે આવવા માટે ફરમાન કર્યું. પણ બીજીવાર આવવા માટે મેં શયદા સાહેબને ના પાડી. એમણે કારણ પૂછ્યું એટલે મેં કહ્યું, “મુરબ્બી, મને આપની સાથે આવવાનું ઠીક નથી લાગતું. આપ તો મોટા શાએર છો, આપનું ત્યાં સન્માન થાય, ભાવભીની પરોણાગત થાય એ ઉચિત છે. પણ મારો એ જ રીતે સત્કાર થાય, મને પણ એ જ રીતે ઉતારો આપવામાં આવે એ મને ખૂંચે છે. હું તો ગુજરાતીનો શાએર પણ નથી.” અને શયદા સાહેબે કહ્યું, “સૈફ - એ કંઇ બહુ મોટી મુશ્કેલી નથી. તને એમ લાગતું હોય કે તું અધિકાર વગર આવી રહ્યો છે તો તું પણ ગઝલ લખી નાંખ, તારા માટે એ અઘરું નથી એ હું જાણું છું. મને તો આશ્ચર્ય એ વાતનું છે કે તેં હજી સુધી એકેય ગુજરાતી ગઝલ કેમ નથી લખી?”
મુરબ્બી શયદા સાહેબે ખૂબ જ સહજ રીતે કહેલી આ વાત મને ગુજરાતીનો ગઝલકાર બનાવી ગઇ. ત્યારે જ મેં એમને મનોમન મારા ‘ઉસ્તાદ’ તરીકે સ્વીકારી લીધા હતા. સામાન્ય અર્થમાં આજકાલ ઉસ્તાદો હોય છે એવા ઉસ્તાદ નહીં. મેં ક્યારેય એમની પાસેથી મારી કોઇ કૃતિ અંગે ઈસ્લાહ નથી લીધી. એવી કોઇ જરૂરત ઊભી થવા પામી પણ નથી. પણ એ મુરબ્બી તરફથી મળેલી મહોબ્બભરી નિગાહ પાસે હજારો પ્રણાલીગત ઈસ્લાહોની કશી જ વિસાત નથી.
“તને શું મને જે ગમે તે કરું છું”
એ મુશાએરા માટે ઉપરોક્ત પંક્તિ આપવામાં આવી હતી. મેં આ પંક્તિ પર મારી પહેલી ગઝલ લખી. મુશાએરામાં અતિથિ વિશેષ તરીકે શ્રી ઝવેરચંદ મેઘાણી હતા. પ્રમુખ તરીકે શ્રી પંડિત ઓમકારનાથ હતા. સંચાલન ‘બેકાર’ સાહેબનું હતું. ગઝલ રજૂ કરવાનો જ્યારે મારો વારો આવ્યો ત્યારે પગ, હાથ અને હૈયું ધુજી રહ્યાં હતાં. ‘બેકાર’ સાહેબે મારો પરિચય આપતાં કહ્યું, “જાણીતાં ગઝલકાર સૈફ પાલનપુરી મુંબઇથી ખાસ આ મુશાએરા માટે પધાર્યા છે. ગઝલ-સમ્રાટ શયદા સાહેબના તેઓ ખાસ શિષ્ય છે. એમનો તખલ્લુસ ‘સૈફ’ છે. સૈફ એટલે તલવાર - પણ એમની તલવાર અહિંસક છે. એની ખાતરી હું તમને ખાતરી આપું છું.”
આવા વિચિત્ર પણ લાગણીભર્યા પરિચયની કારણે, હું ગઝલ બોલું એ પહેલાં શ્રોતાઓએ મને તાળીઓથી વધાવી લીધો. ધ્રુજારીઓ અદૃશ્ય થઇ ગઇ. ગઝલને ઠીકઠીક સફળતા મળી. એક શે’ર -
મને દોસ્તોના અનુભવ ન પૂછો
હવે દુશ્મનો પર ભરોસો કરું છું.
આ શે’ર પર સારી એવી દાદ મળી અને હું વ્યવસ્થિત રીતે [ગુજરાતી] ગઝલકાર બની ગયો.
(’એજ ઝરુખો એજ હીંચકો’માંથી)
એમના જીવનનાં બીજાં મુશાએરાનાં સંસ્મરણો અહીં વાંચો!
* * *

મને દોસ્તોના અનુભવ ન પૂછો
હવે દુશ્મનો પર ભરોસો કરું છું.
-સુંદર શેર . સાથે મજાની વાત પણ જાણવા મળી. આભાર!
Just wanted to say that I really enjoyed reading your today’s post ‘ભરોસો કરું છું -સૈફ પાલનપુરી ‘ and your contribution in the Saraswat Parichay સૈફ’ પાલનપુરી, Saif Palanpuri. Everything you wrote is so wonderful and inspirational. Learning from great literary personalities from our Gujarati bhasha through Gujarati Saraswat Parichay, I consider myself, to be truly ‘bhagyashali’. જય