jump to navigation

શા માટે? -વેણીભાઇ પુરોહિત February 1, 2007

Posted by ઊર્મિસાગર in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
કોઇ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુ:ખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?

* * *

કવિ પરિચય

*

Comments»

1. વેણીભાઇ પુરોહિત, Venibhai Purohit « ગુજરાતી સારસ્વત પરિચય - February 1, 2007

[...] “જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતા… [...]

2. વિવેક - February 4, 2007

હૃદય લખવા માટે hR ટાઈપ કરશોજી…

3. Jay - February 11, 2007

ઘણી વખત મને પ્રશ્ન થાય છે કે ઈશ્વરે માણસ ને મન શા માટે આપ્યું? મન આપ્યું તો ખરૂં પણ બધાંના મન પ્રેમાળ શા માટે નહીં? કોઈ ના મન પથ્થર જેવાં લાગણીવિહોણા તો કોઈના મન એટલા સંવેદનશીલ કે અજાણી વ્યક્તિ માટે પણ બધું જ કરી છુટે. આવી ઈશ્વરની બલિહારી શા માટે? જય

4. સુરેશ જાની - March 9, 2007

કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિને અચૂક ઊઠતો પ્રશ્ન … શા માટે ?

પણ હું પૂછું છું …

શા માટે આ સવાલ પૂછીએ?
ભૂત, ભાવિની વાતો તજીએ.
આમ જ ક્ષણમાં જીવી લઇએ.
શા માટે ને સાવ વિસરીએ.