jump to navigation

કહેવાય નહીં -ઊર્મિસાગર January 12, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

 hpim0111.JPG

ઊર્મિનાં ઝરણાંઓ કયારે ઝાંઝવા બને કહેવાય નહીં,
ઝાંઝવાનાં રણમાં કયારે ફૂટે ઊર્મિ-ઝરણ કહેવાય નહીં.

પ્રણયમાં હજીયે મળે છે મને એક એની ઉપેક્ષાનું દર્દ,
એના બારણા પણ ક્યારે એ વાસી દે કંઇ કહેવાય નહીં.

જીવનની આ અશોકવાટિકા ત્રિજટાવિહોણી થઇ છે હવે,
અશોક પણ ક્યારે સીતાને દઇ દે અંગાર, કહેવાય નહીં.

મનસૂબો કર્યો છે સૂર્ય અને ચંદ્રએ, ગ્રહણને ન ગ્રહવાનો,
ટમટમતાં તારલાઓને હવે લાગે ગ્રહણ તો કહેવાય નહીં.

છે આખરે તો બુધ્ધિજીવી વર્ગનું એક પ્રાણી- આ માણસ,
પાનખરમાં પણ કદીક મહેંકાવે વસંતને, કહેવાય નહીં

માનવીનો છે ક્યાં ભરોસો? બનાવે છે એ ખુદનેય અહીં,
ભગવાનને પણ ક્યારે એ બનાવી દે, કંઇ કહેવાય નહીં.

અચરજ છે, ફૂટતાં ક્યાંથી આ ઝરણાં શબ્દોનાં આપમેળે?
ઊર-પાતાળે જ કોક’દી એ સૂકાઇ જાય તો કહેવાય નહીં.

ઇચ્છા તો છે કે સદા ભરતી જ રહે મુજ ઊર્મિના સાગરમાં,
પણ તારી ઊર્મિમાં ય હવે ક્યારે આવે ઓટ, કહેવાય નહીં.

* * *

‘સહિયારું સર્જન’ પર ‘કહેવાય નહીં’ વિષય પર લખેલી રચના…

* * *

ઊર્મિસાગર

*

Comments»

1. વિવેક - January 13, 2007

છંદ ન જળવાય તો વાંધો નહીં, પણ કાફિયા તો જળવાવા જ જોઈએ ને? ગયા રવિવારે એક હળવી મિટિંગમાં કવિ રવીન્દ્ર પારેખે એક નવોદિત કવિને ટકોર કરી હતી તે કહેવાની ગુસ્તાખી કરું છું: ” છંદ-કાફિયા અને રદીફના માપ-ભાન વિના દસ હજાર ગઝલો પણ લખશો તો એનું મૂલ્ય પસ્તીથી વિશેષ કંઈ નથી.”

મારા અંગત મિત્રને આટલું જાહેરમાં કહી શકું એટલો અધિકાર હું મારો માનું છું…

2. ઊર્મિસાગર - January 13, 2007

તમારી વાત એકદમ સાચી છે જ મિત્ર વિવેક!!
અને ટિપ્પણીઓ કરવાનો તમને પુરો હક છે! એમાંથી જ ઘણું ઘણું શીખું છું!

છંદ મને હજી ફાવતો નથી, પરંતુ મોટેભાગે રદીફ અને કાફિયા સાચવવાની કોશીશ જરૂર કરું છું… પરંતુ આ રચનામાં કાફિયા જેવું કંઇ લીધું જ ન્હોતું… ઇંસ્ટંટ રીએકશન હતું- ‘સહિયારું સર્જન’ પરનાં વિષયનું…

વળી, મેં પણ ક્યાંક વાંચ્યું છે કે રદીફ-કાફિયા હોય તો પણ જો છંદ ન સચવાય તો એ રચનાને ‘ગઝલ’ કહેવાતી જ નથી, માત્ર કવિતા જ કહી શકાય…અને એ હિસાબે તો મારી કોઇ પણ રચનાઓ ગઝલ કહેવાય જ નહીં !! એને ‘કદાચ’ કાવ્યો જ કહી શકાય… પણ આપણા જુગલકાકા તો એમના કાવ્યોને કવિતાઓ ય નહીં ને માત્ર ‘કવિતડાં’ જ કહે છે… એટલે લાગે છે કે મારે ય કંઇક એવું જ કહેવું પડશે!

તમારો ખૂબ ખૂબ આભાર, ટિપ્પણી બદલ!

3. bansinaad - January 14, 2007

કાબિલ ડેડવાણી નો એક શેર, ઊર્મિ, તારી ગઝલ વાંચી ને યાદ આવી ગયો.

મહોબ્બતમાં પ્રવેશ્યા બાદ મુજને સત્ય સમજાયું,
છલોછલ ઝંઝવાંના જળ ભરેલું કોઈ રણ આવ્યું.

સાચું કહું તો ગઝલ વિષે મારો કોઈ પણ અભિપ્રાય આપવા માટે મારી પાસે અનુભવ નથી. એટલું જ હું જાણું છું કે જેમના હ્રદયમાં થી ‘ઝરણાં શબ્દોનાં આપમેળે’ફૂટે છે એ કોઈ સામાન્ય વાત નથી, મા સરસ્વતી ની કૃપા જાણે ઝરણાં સ્વરુપે ઉદ્ભવતી અને આગળ વધતી વધતી કહેતી ન હોય કે શબ્દો ના આ ઝરણાં કદી સુકાવા ના નથી, એ અમર બનવાં ને માટે જ સર્જાયા છે.

બીજું, મને આ છબિ એટલી બધી ગમી છે કે મને પ્રત્યક્ષ એ જગ્યા એ પહોંચી ને ત્યાંના કુદરતી સૌંદર્ય ને મન ભરી ને માણી લેવાની ઈચ્છા થઈ આવી. ભલે એ પછી ‘ઝાંઝવાં ના જળ’ સમાન સાબિત થાય. એક વાર એ ‘ઈચ્છા’ ને ક્લ્પના ની દુનિયા માં માણવાનો આનંદ પણ અનેરો જ છે.

જય.