jump to navigation

જાણવાનો ભરમ June 29, 2006

Posted by ઊર્મિસાગર in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

એ તારો ભરમ છે કે તું મને જાણે છે,
એ મારો ભરમ છે કે હું તને જાણું છું.

ન હું તને જાણું છું ન તું મને જાણે છે,
અટવાયા છે બંને  ભરમમાં હું જાણું છું. 

હકીકતમાં તો કોણ કોને જાણે છે?
ન તું તને જાણે છે ન હું મને જાણું છું.

– ઉર્મિ સાગર
 

Comments»

1. ધર્મેશ - July 1, 2006

ઊર્મિ,
ખોટું ના લગાડો તો એક વાત કહું?
ફક્ત લખવા ખાતર કે પ્રાસ બેસાડવા ખાતર ના લખશો..
“જાણવાનો ભરમ” મને તો એકદમ સામાન્ય અને સપાટ લાગી..જે તમારી શૈલી નથી..
આગલી રચનાઓ જેવું passion ક્યાં?
તમારી શૈલીને વળગી રહો..પ્રયોગો માટેના રસ્તાઓ આપોઆપ ખૂલશે..
આ વણમાગી સલાહ માટે માફી ચાહું છું..
ધર્મેશ
deegujju.blogspot.com

2. Urmi Saagar - July 1, 2006

ધર્મેશ,

ખોટું લગાડવાનો સવાલ જ નથી, પરંતુ સાચે જ લખવા ખાતર કે પ્રાસ બેસાડવા ખાતર નથી લખ્યું. આ ત્રણ કડીઓ સહજ રીતે મારા મનમાં ઉદભવી હતી જ્યારે અંતરમાં પ્રિયપાત્ર પ્રત્યે થોડા ગુસ્સાના ભાવો હતા… એનો પ્રાસ પણ જે દેખાય છે એ કોઇ પણ જાતનાં પ્રયત્નો વિના બિલકુલ અનાયાસે જ આવ્યો છે… જો કે હવે વાંચીને હસવુંયે આવે છે. તમારી વાત પણ ખોટી નથી, આ કડીઓમાં નવું કશું નથી એ તમારી જેમ જ મને પણ લાગેલ છે. પરતું સાવ સામાન્ય અને સપાટ લાગતા એ ભાવોની સ્મૃતિ સ્વરૂપ આ ક્ડીઓને બદલવાનું મને યોગ્ય ના લાગ્યું એટલે એમ જ રહેવા દીધેલ છે. કોઇકવાર કોઇ ચીજ-વસ્તુની જેમ અનુભવાયેલા ભાવો માટે પણ સંઘરાખોરી વૃત્તિ જાગી ઉઠે છે. આટલી ઝીણવટપૂર્વક વાંચી અને મારી શૈલીને ઓળખી એના પર વિચારીને વિના સંકોચે સાચી સલાહ એક સાચો મિત્ર જ આપી શકે… મને ખૂબ જ આનંદ થયો. આવી જ રીતે અભિપ્રાય આપતા રહેશો એવી આશા છે.

ઉર્મિ સાગર
http://urmi.wordpress.com